જગન્નાથ શંકરસેટ
મુંબઈના આદ્ય શિલ્પકાર:
જગન્નાથ શંકરસેટ(૧૮૦૩-૧૮૬૫)
મુંબઈ અને થાણા વચ્ચે દોડેલી પહેલવહેલી ટ્રેનમાં ૪૫ મીનીટની મુસાફરી કરનાર, મુંબઈમાં નેટીવ એજ્યુકેશન નો પાયો નાંખનાર, સ્ત્રી શિક્ષણના હિમાયતી ,મોટા સખાવતી અને મુંબઈમાં જાહેરજીવનની મોટાભાગની પ્રવુંતિઓમાં પોતાનું યોગદાન આપનાર જગન્નાથ શંકરસેટનો આજે જન્મદિવસ છે.અત્યંત ધનિક કુટુંબમાં જન્મેલા જગન્નાથ ,દાદાની ઈચ્છા વિરુદ્ધ વ્યાપારમાં ઝંપલાવી મોટા બિઝનેસમેન બન્યા ,આરબો અને અફઘાનો સાથે પણ વેપાર કરતા.પુષ્કળ ધન કમાયા અને તેનો સુયોગ્ય ઉપયોગ પ્રજાકલ્યાણ અને ભાવિ સમાજના નિર્માણ માટે કર્યો.તેમાં શિક્ષણ ,વાહનવ્યવહારનો વિકાસ એ એક દીર્ઘદ્રષ્ટા તરીકે તેમની પ્રાથમિકતા હતી.મુંબઈમાં રેલ્વે નાંખવી જોઈએ તેવો પ્રસ્તાવ મુકનાર તેઓ શરૂના ભારતીયો પૈકીના એક હતા.અને રેલ્વે દોડતી થઇ તે પછી રચાયેલા ગ્રેટ ઇન્ડિયન પેનીનસુલા રેલ્વેના માત્ર બે ભારતીય ડીરેકટરો પૈકીના એક જગન્નાથ હતા. અંગત સખાવત દ્રારા મુંબઈમાં સ્કુલ સોસાયટીનો પાયો નાંખ્યો ,તેના વિકસિત સ્વરૂપે ઉચ્ચ શિક્ષણના આશ્રયે જ રાનડે,ગોખલે,દાદાભાઈ,આર.જી.ભાંડારકર અને તિલક જેવા ભારત વિધાતાઓ વિકસ્યા હતા. તેમના વિકાસવાદી અને ભવિષ્યગામી દ્રષ્ટિકોણને અંગ્રેજો પણ સમજી ચુક્યા હતા તેથી ૧૮૬૧ના કાયદા પછી રચાયેલા લેજીસ્લટીવ કાઉન્સિલ ઓફ બોમ્બેના તેઓ પહેલા નિયુકત ભારતીય સભ્ય બન્યા હતા. રોયલ બ્રાંચ ઓફ એશિયાટિક સોસાયટી મુંબઈના પણ તેઓ પહેલા નિયુક્ત સભ્ય હતા.આ હોદ્દાઓના બળે તેઓએ મુંબઈ શહેરને આયોજનબદ્ધ અને હવાઉજાસવાળું બનાવવાનો પુરુષાર્થ પણ આદર્યો હતો.સન સતાવનના સંગ્રામમાં પણ તેમણે ભાગ લીધો હતો.૩૧ જાન્યુ.૧૮૬૫ના રોજ અવસાન પામનાર અને ,"નાના"તરીકે પસિદ્ધ થયેલા જગન્નાથ શંકરસેટની સ્મૃતિમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં અનેક સંસ્થાઓ અસ્તિત્વ ધરાવે છે.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,10 ફેબ્રુઆરી 2018,અમદાવાદ
Comments
Post a Comment