ઝાર નિકોલસ પહેલો
ઝાર નિકોલસ પહેલો [૧૭૯૬-૧૮૫૫ ]
રશિયાની રાજાશાહી ઝારશાહી તરીકે ઓળખાતી હતી .લગભગ ૩૦૦ વર્ષનો તેનો ઈતિહાસ રોમાંચક હોવાની સાથે દર્દનાક પણ છે .તેનું એક ઉદાહરણ આજના દિવસે ૧૭૯૬માં જન્મેલા ઝાર નિકોલસ પહેલાનું જીવન છે .કેથેરાઈન દિ ગ્રેટના પૌત્ર અને ગ્રાન્ડ ડયુક તથા ગ્રાન્ડ ડચીસ મારીયાના આ પુત્રનું આખું નામ નિકોલસ પાવલોવિચ રોમનોફ હતું .તેનું ઝાર {રાજા] થવું એ તેના મોટાભાઈ એલેકઝાડર પહેલાની કુનેહને આભારી હતું .એલેકઝાડર પછી તેના તરતના નાના ભાઈ કોન્સ્ટન્ટાઈનનો રાજગાદી પર અધિકાર હતો પણ તેણે પોલેન્ડના એક સામાન્ય કુટુંબની કન્યા સાથે લગ્ન કર્યા હોવાથી પોતે જ ઉત્તરધિકાર જતો કર્યો એટલે એલેકઝાડરે તેનાથી નાના ભાઈ નિકોલસ પહેલાને વસિયતનામાં દ્રારા ઉત્તરાધિકારી નક્કી કર્યો .આ વાત તેમના મૃત્યુ સુધી ઢાંકી રાખવામાં આવી અને એલેકઝાડરના મૃત્યુ પછી નિકોલસ ઝાર [રાજા ] બન્યો .તે રશિયા સાથે પોલેન્ડ અને ફીનલેન્ડનો પણ રાજા હતો .
તેણે ૧૪ ડિસે.૧૮૨૫ના રોજ વાસ્તવિક રીતે રશિયાનું શાસન સંભાળ્યું એ દિવસ સોમવાર હતો અને રશિયનો સોમવારને અપશુકનિયાળ માનતા હતા ,આ દિવસે તાપમાન પણ -૮ [માઈનસ ૮ ] નોંધાતા રશિયનોની અપશુકનવાળી વાત દ્રઢ થઇ હતી આપણે આમાં માનીએ કે ના માનીએ પણ નિકોલસ પહેલાએ રશિયનોની માન્યતાને પુરવાર કરી હતી, કારણકે તે લશ્કરને સારી અને મહાન સંસ્થા માનતો હતો .તત્કાલીન યુરોપના આ સૌથી સોહામણા પુરુષ પણ સંકુચિત માનસના શાસકે લશ્કરી શાસન શરુ કર્યું .ઊંડી જાસુસી ,શંકાસ્પદોને જેલ ,કત્લેંઆમનો દોર શરુ કર્યો .પરિણામે રશિયા વિશાળ કારાગારમાં ફેરવાઈ ગયું .ઓધૌગિક ક્રાંતિ પછી યુરોપના મુક્ત વિચારો રશિયામાં ન પ્રવેશે તે માટે ત્યાંથી પુસ્તકો અને સામયિકો લાવવા પર પ્રતિબંધ મુક્યો તો વિદેશીઓના રશિયાપ્રવાસ પર પણ અનેક નિયમનો લાદયા હતા .તેની આ પ્રત્યાઘાતી નીતિ માટે એમ કહેવાતું કે નિકોલસે રશિયાને થીજવી દીધું છે . આવા પ્રત્યાઘાતી ઝારના સમયમાં પણ કેટલાક આશાના કિરણો હતા .ઉદા.તરીકે મહાન સાહિત્યકારો દોસ્તોવસ્કી [૧૮૨૧-૧૮૮૧]અને પુશ્કીન[૧૭૯૯-૧૮૩૭] આ સમયની નીપજ હતા તો રશિયામાં રેલ્વેનું નિર્માણ અને કીવ [kiev]યુનિ.ની સ્થાપના તેના સમયમાં જ થઇ હતી .કોઈ તેનું મૃત્યુ ન્યુમોનિયાથી થયાનું તો કોઈ આત્મહત્યા કરી હોવાનું કહે છે પણ ૨ માર્ચ ૧૮૫૫ના રોજ તે મૃત્યુ પામ્યો હતો એટલું તો પાક્કું છે .
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર, અમદાવાદ
Comments
Post a Comment