સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
યથા રાજા તથા પ્રજા :
સયાજીરાવ ગાયકવાડ (૧૮૬૩ ..૧૯૩૯)
ડોક્ટર સુમંત મહેતા એ કહ્યું હતું કે "સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી સાથે ભાવિ ભારત એક ત્રીજું નામ પણ સ્મરશે અને તે સયાજીરાવ ગાયકવાડનું "
આ વાત તેઓએ મહારાજા સયાજીરાવની "સર્વજન હિતાય સર્વજન સુખાય"ની રાજનીતિને મદ્દેનજર રાખી કહી હતી.
રજવાડી ભારતમાં કોઈ શાસક ન કરી શકે તેવી પ્રજાકલ્યાણકારી પ્રવુતિઓ મહારાજાએ કરી હતી.મહિલા,દલિત, આદિવાસી શિક્ષણની બાબત હોય,વિજ્ઞાન અને ટેકનોલોજીને ઉત્તેજન આપવાની વાત હોય, જૂનાં બંધનોને તોડવાનો મુદૃો હોય સાંસ્થાનિક ભારતમાં પહેલ સયાજીરાવની રહી હતી.
તેમનો જન્મ ગોપાળરાવ તરીકે મહારાષ્ટ્રના માલેગાંવ પાસે કવલાનેમાં થયો હતો.૧૮૭૫માં દત્તક પુત્ર તરીકે વડોદરાના બાળરાજા થયાં. ૧૮૮૧માં વાસ્તવિક રીતે સત્તાના સૂત્રો સંભાળ્યા.
ગાયકવાડો માટે "જીન ઘર જીન તખ્ત" કહેવાતું હતું ત્યારે ભારતીય અને પાશ્ચાત્ય શાસન વ્યવસ્થાનો સુમેળ કરી લાગલગાટ ૬૪ વર્ષ સુધી વડોદરામાં શાસન કર્યું.
"રાજધર્મ "કોને કહેવાય તેની ઉત્તમોત્તમ મિશાલો પેશ કરી. ભારતીય સંસ્કૃતિ પરત્વે ગાઢ લગાવ અને લગભગ ૧૯ વખત વિદેશોની મુલાકાતો વગેરે પરિબળોએ વડોદરા રાજ્યની કાયાપલટ કરી હતી.
વ્યારાના આદિવાસીઓને એ જમાનામાં રાજમહેલના ડાઇનિંગ ટેબલ પર તો સયાજીરાવ જ સાથે બેસી જમાડી શકે.
વડોદરા રાજ્ય અને આજના વડોદરા નગરને દૂરગામી દૃષ્ટિકોણ દ્વારા આધુનિકતાના પથ પર મૂકનાર સયાજીરાવ ગાયકવાડનું ૬ ફેબ્રઆરી ૧૯૩૯માં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૧ માર્ચ,૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment