મહર્ષિ કર્વ
જહા ચાહ વહાં રાહ: મહર્ષિ કર્વે (૧૮૫૮_૧૯૬૨)
આજે ઘોંડું કેશવ કર્વનો જન્મદિન છે. પૈતૃક ગામ મહારાષ્ટ્રના કોંકણ દરિયાકાંઠાનું મરૂડ પણ જન્મ મોસાળ શેરવલીમાં થયો હતો. તેમની પહેલાના ત્રણ ભાઈઓ બચપણમાં જ મૃત્યું પામતા માતા બાળક ઘોંડુના સ્વાસ્થય વિશે સતત ચિંતિત રહેતા હતા. પણ ચિંતિત માને કયાં ખબર હતી કે પુત્ર ૧૦૪ વર્ષ જીવશે અને ઇતિહાસમાં નામ અંકિત કરશે.
સામાન્ય પરિવારના ઘોન્ડુ એ અનેક વિપદાઓ વચ્ચે અભ્યાસ કર્યો.૧૫ માં વર્ષે રાધાબાઈ સાથે લગ્ન થયા પછી મુંબઈ ભણવા ગયા. ત્યાં ખર્ચ કાઢવા ટ્યુશન કરતાં પણ તેમાંથી ૧ રૂપિયો ધર્માદામાં આપતાં.
પિતાના અવસાન પછી માતા પરના વૈદ્ધવ્યના અસહ્ય બંધનો એ તેમને સમાજ સુધારાની દિશા ચીંધી હતી. નાની મોટી નોકરીઓ કરતાં પૂનાની ફર્ગ્યુશન કોલેજમાં ગણિતના અધ્યાપક બન્યાં.
સમાજસુધારા માટે પોતાનાથી દાખલા ઊભા કરવા જોઈએ તે ન્યાયે પત્ની અને બહેનને વેકેશનમાં ભણાવતા. તેમનો સૈાથી મોટો દાખલો તે ૧૧ માર્ચ ૧૮૯૩ ના રોજ આનંદીબાઈ સાથે કરેલાં વિધવાલગ્ન. આ પુનઃ લગ્ને પશ્રિમ ભારતમાં રૂઢિચુસ્ત માનસમાં હાહાકાર મચાવી દીધો. તેમની સાથે અછૂત જેવો વ્યવહાર થવા લાગ્યો તો કર્વ એ ભત્રીજીના પણ પુનઃ લગ્ન કરાવ્યાં.
વિધવા આશ્રમો, બાલિકા આશ્રમો અને મહિલા વિશ્વ વિદ્યાલયની(આજની એસ. એન. ડી. ટી. યુનિ.) સ્થાપના કરી. આ પ્રવુતિઓ ચાલુ કરવા માટે ત્રણ વર્ષની કપાત પગારે રજા લીધી હતી.
કૌટુંબિક અને સમાજ જીવનના તમામ ક્ષેત્રોમાં ત્યાગ અને સમર્પણ ની ઉચ્ચ કક્ષાની મિશાલ પેશ કરનાર મહર્ષિ કર્વનું ૭ નવે.૧૯૬૨ ના રોજ ૧૦૪ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું.
તેમના કામનું માનદ પીએચ. ડી , ડી. લીટ,પદ્મ વિભૂષણ અને ભારતરત્ન એમ અનેક રીતે સન્માન થયું છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૮ એપ્રિલ ૨૦૧૮,અમદાવાદ
Comments
Post a Comment