ટીપું સુલતાનની તલવાર


            *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

        *ટીપુ સુલ્તાન અને અંગ્રેજો વચ્ચેનાં યુદ્ધો -
                     ૧૭૬૬ - ૧૭૯૯*

                   *પ્રકરણ:- 78*
          લેખક: * અરુણ વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1
              ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધ અને બક્સરના ૧૭૬૪ના યુદ્ધ પછી ભારતમાં પ્રભાવશાળી સત્તા તરીકે અંગ્રેજો આગળ વધી રહ્યા હતા. રોબર્ટ ક્લાઇવથી શરૂ થયેલી અંગ્રેજ ગવર્નર જનરલોની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓ સમયના વહેણ સાથે આક્રમક રીતે ગતિ કરતી રહી હતી.
          વૉરન હેસ્ટિંગ્સ, લૉર્ડ કોર્નવૉલિસ અને વિશેષતઃ લૉર્ડ વેલેસ્લીના સમયમાં બ્રિટીશ સામ્રાજ્ય તીવ્ર ગતિએ આગળ વધતું ગયું. બાહુબળ, વ્યૂહરચનાઓ અને ભારતીય સમાજને સમજવાનો સંશોધનાત્મક પ્રયાસ વગેરે ભારતમાં અંગ્રેજી શાસનના પાયામાં હતા. બંગાળથી શરૂ થયેલી બ્રિટિશરોની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓ વેલેસ્લીની સહાયકારી નીતિના પરિણામે દક્ષિણમાં પણ મજબુત રીતે આગળ વધી હતી. દક્ષિણમાં ૧૮મા સૈકાના ઉત્તરાર્ધમાં અંગ્રેજોની સામે મજબુત મુકાબલો મૈસુર રાજ્ય અને તેના નવાબો હૈદરઅલી અને તેના પુત્ર ટીપુ સુલ્તાને કર્યો હતો.
          મૈસુરના નવાબ તરીકે આરૂઢ થઇ અંગ્રેજો સામે ઝીંક ઝીલનાર હૈદરઅલીનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો. તેના પૂર્વજો પણ સ્થાનિક નહોતા, બલકે દિલ્હી પાસે ગુલબર્ગોથી સ્થળાંતરિત થઇ અહીં વસ્યા હતા. ખેતીવાડી અને સૈનિક સેવામાં રહેતા હૈદરઅલીના પિતા ફતેહ મુહમ્મદ ફોઝદારના હોદ્દે પહોંચ્યા હતા.
ઈ.સ. ૧૭૨૮માં હૈદર ૭ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું. ભયંકર મુસીબતોના સમયમાં રસ્તો કરતો હૈદર પણ સૈનિકના રૂપમાં જોડાયો. અભણ હોવા છતાં વીરતા અને કૂટનીતિના બળે આગળ ધપતો રહ્યો. તે સમયે હૈદર વિજયનગર સામ્રાજ્યની સેવામાં હતો. વિજયનગર રાજ્યના પતન પછી વાડ્યાર વંશની સ્થાપના થઈ. તેનું બધું તંત્ર રાજાના બદલે તેના મંત્રીઓના હાથમાં હતું. કર્ણાટકનાં યુદ્ધોમાં હૈદરઅલીને કાઠું કાઢવાની તક મળી હતી. સમયના પ્રવાહ સાથે હૈદર સૈનિક તરીકેની કુનેહ, વ્યૂહરચનાઓ અને ધન સંપત્તિ વગેરેનો અનુભવ પ્રાપ્ત કરતો રહ્યો. પોતાની રાજકીય પ્રતિષ્ઠા પણ વધારી. આખરે ૧૭૬૧માં રાજા નજ્જરાજને પદચ્યુત કરી ખુદ શાસક બની ગયો.

             શાસક બન્યા પછી ફ્રેન્ચો પાસેથી સૈન્ય વ્યૂહરચનાઓ અને લશ્કરી સાધનો બનાવવાની કારીગરી શીખતો ગયો હતો. સામાન્ય સૈનિકમાંથી શાસક બનવું એ પ્રગતિ ઉચ્ચ મહત્વાકાંક્ષા વગર બની શકે નહિ. કુશાગ્ર બુદ્ધિ અને તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા હૈદરઅલીએ રાજકીય અને પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓ વધારવા જતા મરાઠાઓ અને અંગ્રેજો સાથે યુદ્ધો કરવાં પડ્યાં. અંગ્રેજો સાથે ૧૭૬૬માં શરૂ થયેલો સંઘર્ષ છેક ૧૭૯૯માં તેના પુત્ર ટીપુ સુલ્તાન સુધી ચાલ્યો હતો, જે આધુનિક ભારતીય ઇતિહાસમાં ‘મૈસુર વિગ્રહો’ તરીકે પ્રસિદ્ધ થયા છે.
          પહેલો મૈસુર વિગ્રહ ઈ.સ. ૧૭૬૬માં શરૂ થયો અને ત્રણ વર્ષ ચાલ્યો. તેમાં અંગ્રેજો, મરાઠાઓ અને હૈદરાબાદના જૂથ સામે હૈદર એકલો લડ્યો હતો. નાનાંમોટાં ત્રણેક યુદ્ધો થયાં અને સરવાળે હૈદરના પરાજય અને મદ્રાસની સંધિ સાથે પ્રથમ મૈસુર યુદ્ધનો અંત આવ્યો, પણ સંધિની શરતો બીજા મૈસુર યુદ્ધની પરિસ્થિતિ રચતી ગઈ હતી. બીજો મૈસુર વિગ્રહ ૧૭૮૦થી ૧૭૮૪ દરમિયાન લડાયો. અંગ્રેજોને પોતાના કટ્ટર શત્રુ માનતા હૈદરઅલીએ શરૂઆતી સંઘર્ષમાં પોતાનો દબદબો બનાવ્યો હતો. યુદ્ધ દરમિયાન જ ૧૭૮૨માં કેન્સરની બીમારીથી હૈદરઅલીનું અવસાન થયું.
       હૈદરના મૃત્યુ પછી આ યુદ્ધમાં તેનો મહત્વાકાંક્ષી પુત્ર ટીપુ લડતો રહ્યો. બીજું યુદ્ધ કોઇના પણ નિર્ણાયક વિજય વિના પૂરું થયું. ત્રીજા યુદ્ધમાં શરૂથી જ ટીપુ સેનાનાયક હતો. આધુનિક ભારતીય ઇતિહાસના આ કદાવર શાસકનો થોડો પરિચય કરવો રહ્યો.
        ટીપુના વ્યક્તિત્વ વિશે ઈતિહાસકારોમાં એકમત નથી. કોઈ તેને ક્રૂર અને ધર્માંધ અને અભિમાની ચીતરે છે. તે પોતાના જ્ઞાન કરતા અજ્ઞાનનું પ્રદર્શન વધુ કરતો હતો. સ્થળ, નામો અને નિયમો બદલવાનું ટીપુને ગાંડપણની હદે વળગણ હતું. વ્યક્તિઓનાં મૂલ્યાંકનમાં તે ઊણો ઊતરતો હતો. હિંદુઓ પર અત્યાચારો કરી તે ધર્માંતરણને પ્રોત્સાહિત કરતો વગેરે જેવા આરોપો તેના પર લાગ્યા હતા. તો બીજી તરફ ઈતિહાસકારોનો એક વર્ગ ટીપુ સુલ્તાનમાં યુદ્ધ ટેક્નોલોજીનો પુરસ્કર્તા, વિદેશનીતિનો નિષ્ણાત, અંગ્રેજોનો કટ્ટર શત્રુ, શ્રમિકો અને કિસાનોનો હિતેચ્છુ, અર્થતંત્રના સુધારક તરીકે મૂલવ્યો છે. શ્રુગેરીથી પ્રાપ્ત થયેલા એક પત્રની વિગતો મુજબ તેણે ૧૭૯૧માં મરાઠાઓના આક્રમણ પછી તૂટી ગયેલા શ્રુગેરી મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ત્યાંના શંકરાચાર્યનું પણ તે સન્માન કરતો હતો અને તેઓ સાથે નિયમિત પત્રવ્યવહાર પણ કરતો હતો.
     ટીપુ સુલતાન વિશે બે પરસ્પર ભિન્ન અભિપ્રાયો વચ્ચે આપણે એટલું કહી શકીએ કે તે પ્રજા પ્રત્યે ઉદાર હતો અને શત્રુ બાબતે કઠોર. ટીપુએ સાહસિક અને હાર ન સ્વીકારનાર શાસક તરીકે ખુદની છબિ બનાવી હોવા છતાં તેની યુદ્ધ નીતિ આક્રમક નહીં કિન્તુ સુરક્ષાત્મક હતી.
       ટીપુએ અંગ્રેજોને ખદેડવા માટે યુદ્ધ પૂર્વે વિદેશી મદદ ઊભી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પોતાના દૂતોને ફ્રાન્સ, તુર્કી વગેરે દેશોમાં મોકલ્યા હતા, પરંતુ નિરાશા મળી. દેશભરમાંથી ચુનંદા અશ્વો પોતાના અશ્વદળમાં રાખવાનો શોખીન હતો. આપણા કચ્છના એક ખત્રી સૌદાગર સુંદરજીએ મૈસુરમાં ટીપુ સુલ્તાનને અંગ્રેજો સામેના યુદ્ધ પહેલાં ઘોડાઓ વેચ્યા હોવાના પ્રમાણો ઉપલબ્ધ છે. આ બધું અંગ્રેજોની નજર બહાર ન હતું.
  ફ્રેન્ચો સાથે દોસ્તી કેળવવાના ટીપુના પ્રયત્નથી અંગ્રેજો ટીપુને ઠેકાણે પાડવા સજ્જ થયા હતા. તેની મદદે મરાઠાઓ, નિઝામ જેવા સત્તા અને સંપતિ લોલુપ શાસકો પણ હતા. તેઓ વચ્ચેની ત્રિપક્ષી સંધિ પછી ૧૭૯૦થી ૧૭૯૨ વચ્ચે અંગ્રેજો અને મૈસુર વચ્ચે ત્રીજું યુદ્ધ થયું તે સમયે સેનાપતિ મિડોઝના નેતૃત્વમાં ટીપુએ બ્રિટિશ સેનાને ખદેડી મૂકી, પણ તે પછી ટીપુ સામેના યુદ્ધનું નેતૃત્વ ખુદ ગવર્નર લૉર્ડ કોર્નવૉલિસે સંભાળ્યું હતું. તે ધીમા લશ્કરી અભિયાન દ્વારા ટીપુની રાજધાની શ્રીરંગપટ્ટનમ્ સુધી પહોંચી ગયો. તેના કિલ્લાઓ અને લશ્કરી શક્તિ ક્ષીણ કરી. પરિણામે ટીપુ પાસે અંગ્રેજો સાથે સંધિ કર્યા સિવાય કોઈ આરો ન હતો. માર્ચ ૧૭૯૨માં શ્રીરંગપટ્ટનમની સંધિ દ્વારા ત્રીજા મૈસુર વિગ્રહનો અંત આવ્યો. આ સંધિ પછી ટીપુએ પ્રાદેશિક, આર્થિક અને વ્યક્તિગત રીતે પણ ઘણું વેઠવું પડ્યું હતું. સંધિની શરતો પ્રમાણે ટીપુએ તેના બે છોકરા બંધક સ્વરૂપે અંગ્રેજો પાસે રાખવાના હતા. હવે ચોથો અને છેલ્લો સંઘર્ષ બાકી હતો અને તે પ્રખર સામ્રાજ્યવાદી ગવર્નર લૉર્ડ વેલેસ્લીના સમયમાં થયું હતું. સને ૧૭૯૯માં થયેલા આ યુદ્ધ પછી મૈસુર રાજ્ય અને ટીપુ બંને ભૂતકાળ બની ગયાં.
          Zસમૈસુરના ત્રીજા યુદ્ધના પરાજય અને પ્રતિષ્ઠા ભંગને ટીપુ ભૂલે તેમ ન હતો. તેણે કિલ્લેબંધી, સૈન્યશક્તિની સજ્જતા અને વિદેશી તાકાતોની મદદ વગેરે થકી ચોથા મૈસુર યુદ્ધની તૈયારીઓ શરૂ કરી. ફ્રાન્સ તરફથી તેને થોડો સહકાર પણ મળ્યો હતો. ટીપુએ ફ્રાન્સ પ્રત્યે વધુ આત્મીયતા જતાવવા ફ્રાન્સ ક્રાંતિના પ્રતીક સમા "ક્રાંતિના વૃક્ષ"ને પાટનગરમાં રોપ્યું હતું. ફ્રાન્સ ક્રાંતિ વખતની ક્રાંતિકારી સંસ્થા "જેકોબીન ક્લબ"નો પણ તે સભ્ય બન્યો હતો. ટીપુનું ફ્રાન્સ તરફથી વલણ અને તેમના વચ્ચે રચાયેલી યુતિમાં અંગ્રેજો તે સમયના સરમુખત્યાર નેપોલિયન બોનાપાર્ટના આક્રમણની ભાવિ યોજના તરીકે પણ જોતા હતા. પોતાને "નાગરિક ટીપુ" (સિટીઝન ટીપુ)તરીકે ઘોષિત કર્યો હતો. પરંતુ મૈસુર રાજ્યમાં આવેલા આવા બદલાવો નવો અને સામ્રાજ્યવાદી ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લી સહન કરે તેમ ન હતો. તેણે ભારત આવતાંની સાથે કોર્નવૉલિસના સમયની મરાઠા, નિઝામ અને અંગ્રેજો વચ્ચેની ત્રિપક્ષી સંધિને સજીવન કરી.
          પેશ્વા અને નિઝામ પ્રદેશોની લાળ ટપકાવતા અંગ્રેજોની પડખે થયા. આ સંયુક્ત સેનાએ માર્ચ ૧૭૯૯માં મૈસુર પર હુમલો કરી દીધો. આ હુમલામાં બ્રિટિશ સેનાપતિઓ તરીકે જનરલ હેરીસ, આર્થર વેલેસ્લી અને જનરલ સ્ટુઅર્ટે મોરચા સંભાળ્યા હતા. સીદાસીર અને માલવેલીના યુદ્ધમાં ટીપુ હાર્યો અને તેણે શ્રીરંગપટ્ટનમમાં શરણ લેવું પડ્યું. ૧૭ એપ્રિલ ૧૭૯૯ના રોજ સંયુક્ત સેનાઓએ ટીપુએ શરણ લીધું હતું તે રાજધાનીને મજબુત ઘેરો ઘાલ્યો. ગવર્નરે મૈસુર રાજ્ય અને ૨૦ લાખ પાઉન્ડ આપે તો ઘેરો હટાવી સુલેહ કરવાની ઓફર કરી, પણ તેને સ્વીકારવાના બદલે ટીપુ કિલ્લા પર ચડી યુદ્ધ કરવા લાગ્યો અને ત્યાં જ માર્યો ગયો. બીજી ઘણી આર્થિક અને સૈનિક નુકસાની મૈસુર રાજ્યે ભોગવવી પડી. અંતમાં તો ૩૩ વર્ષ પહેલાં હૈદરઅલી દ્વારા સ્થાપયેલા મૈસુર રાજ્યનો કરુણ અંત આવ્યો. મૈસુર વિગ્રહોમાં ભલે હૈદરઅલી અને ટીપુ સુલતાન પરાસ્ત થયા હોય, પરંતુ યુદ્ધનો સંઘર્ષ કેવો હોઈ શકે તેની ઉમદા મિસાલ તો પિતા-પુત્ર મૂકતા ગયા છે. ટીપુ સુલતાનનું તો સતત મૂલ્યાંકન-પુનઃમૂલ્યાંકન થઇ રહ્યું છે જે તેના માહાત્મ્યને સ્પષ્ટ કરે છે.
      અહીં મૈસુર વિગ્રહોની વાત પૂરી કરી. આવતી કાલે રવિવારથી સન સત્તાવનના સંગ્રામની ચર્ચા આરંભીશું.
*સૌજન્ય:*
https://www.divyabhaskar.co.in (29)
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ