ભૂચર મોરીનું યુદ્ધ

        *રસધાર: યુધ્ધોની કથા શ્રેણી*

       *મુઘલાઈ યુદ્ધોઃ ભૂચર મોરીનું યુદ્ધ (૧૫૯૧)*

           *પ્રકરણ:- 55*
લેખક: *શ્રી અરુણ  વાઘેલા*
http://arunoday-itihas.blogspot.com/?m=1

             ઈ.સ. ૧૫૩૭માં સુલતાન બહાદુરશાહના અવસાન પછી ગુજરાતની સ્વતંત્ર સલ્તનત નબળી પડી હતી. એક પછી એક જુવાન અને નબળા સુલતાનો તખ્તનશીન થયા, પરંતુ વહીવટની નબળાઈને કારણે તેઓ મહત્વાકાંક્ષી અને અર્ધસ્વતંત્ર અમીર-ઉમરાવોના હાથમાં કઠપૂતળી સમાન હતા. આવી સ્થિતિમાં સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો ૧૫૬૧ના વર્ષે સત્તા પર આવ્યો.

              આ વખતે મુઘલ બાદશાહ અકબર તેની સામ્રાજ્યવાદી નીતિના ભાગરૂપે ગુજરાત તરફ નજર કરી રહ્યો હતો. ધનધાન્યથી ભરપુર, ફળદ્રુપ અને વિશાળ દરિયાકાંઠો ધરાવતા સમૃદ્ધ વેપારી પ્રદેશને મુઘલાઈ હસ્તક લાવવો જરૂરી હતો. ૧૫૩૫માં હુમાયુએ ગુજરાત જીતેલું પણ તે જાળવી ન શક્યો અને ગુજરાત ફરીથી મુઘલાઈના તાબામાંથી મુક્ત થયું હતું. તેથી ૨ જુલાઈ ૧૫૭૨ના રોજ તેણે ગુજરાત જીતવા માટે આગ્રાથી પ્રયાણ કર્યું. પહેલો મુકામ અજમેર શરીફમાં કર્યો અને ત્યાંથી ૧૦ હજારનું અશ્વદળ લઈ ૭ નવેમ્બર ૧૫૭૨ના રોજ પહોંચ્યો પાટણ.

              આગ્રાથી અકબરના અભિયાનના સમાચાર મળતાં જ મુઝફ્ફર નાસવા માંડ્યો. રસ્તામાં આવતા પ્રદેશો એક પછી એક મુઘલો દ્વારા જીતાતા ગયા. પાટણ, ખંભાત, અમદાવાદ અને સુરત જીતી લીધાં. સુચારુ વહીવટીતંત્ર સ્થાપવાના ભાગરૂપે ગુજરાતને મુઘલ સરકારના તાબામાં મૂકી અહીંના સુબા તરીકે અઝીઝ કોકાની નિમણૂક કરી.
               આટલી ફતેહ પછી ૩ જુન૧૫૭૩ના રોજ ફતેહપુર સિકરી પરત ફર્યો. પરંતુ જેવો તે રાજધાની પહોંચ્યો કે તરત જ ગુજરાતમાં બળવો થયો. અગાઉ નાસી છૂટેલા મુઝફ્ફરે જ તેના સહયોગીઓ અને ૩૦ હજારના હયદળ અને ૨૦ હજારના પાયદળ સાથે અમદાવાદમાં જ ઉપદ્રવ ખડો કર્યો હતો. અકબર માટે આ બહુ મોટો પડકાર હતો. તાબડતોબ એક સાંઢણી તૈયાર કરી પવન વેગે ફતેહપુર સિકરીથી ૬૮૦ કિલોમીટરનું અંતર ૯ દિવસમાં કાપી અમદાવાદ પહોંચ્યો.

           ગુજરાતમાં ઉપદ્રવ શમાવી અકબર આગ્રા સિધાવ્યો, પણ અહી મજબૂત સુબો અઝીઝ કોકાને મૂકતો ગયો હતો. બીજી તરફ ગુજરાતનો સુલતાન મુઝફ્ફરશાહ મુઘલોના ખોફથી બચવા સતત ભાગતો ફરતો હતો, પરંતુ મુઘલોના ડરને કારણે ગુજરાતમાં તો કોઈ તેને સંઘરવા કે આશરો આપવા તૈયાર ન હતું. આખરે સૌરાષ્ટ્રમાં નવાનગરના રાજા જામ છત્રશાલે ક્ષાત્રધર્મનું પાલન કરતાં શરણે આવેલાનું રક્ષણ કરવાનો ધર્મ અદા કર્યો.
            નવાનગર-જામનગરનું રાજ્ય સૌરાષ્ટ્રનું મોટું રાજ્ય હતું. અહીંના જામ શાસકો પશ્રમના પાદશાહ તરીકે ઓળખાતા હતા. અમદાવાદથી ભાગેલા મુઝફ્ફર ખાને નવાનગરના જામ, જુનાગઢના નવાબનો પુત્ર દૌલત ખાન, કાઠી લોધો ખુમાણ અને કચ્છના રાવ સાથે મળી મુઘલો સામે વિશાળ મોરચો રચ્યો હતો. જે મુઘલ સુબા અઝીઝ કોકા માટે એક પડકાર હતો.પણ ખુદ પોતે જ મુઘલોના આ શત્રુઓના નાશ માટે ફોજનું નેતૃત્વ લીધું. તેણે મુઘલ સૈન્ય સાથે ભરચોમાસે કૂચ કરી. તેની સેના વિશે મતમતાંતરો છે. કોઈ અઢી લાખની વિશાળ સેના હોવાનું તો કોઈ માત્ર ૧૦ હજારનું સૈન્ય હોવાનું કહે છે. તેથી વિરુદ્ધ મુઝફ્ફર પાસે ૩૦ હજાર સૈનિકોનું લશ્કર હતું.
          ગુજરાત-સૌરાષ્ટ્રના ચોમાસાને પાર કરતું કોકાનું લશ્કર આગળ ધપતું હતું. અઝીઝ કોકાએ નવરંગ ખાન અને સૈયદ કાસિમ નામના મુઘલ સેનાપતિઓને આગળ મોકલી જામને મુઝફ્ફરને મુઘલોનો શત્રુ હોવાથી આશરો ન આપવા ચેતવણી આપી, પણ નવાનગરનો જામ તેને તાબે ન થયો. જામે પોતાના બળવાન અને વિશાળ લશ્કર પર મુસ્તાક બની મુઘલ ચેતવણીની હળાહળ અવગણના કરી.

          તેથી આગળ વઘી નવાનગરના જામે કચ્છના રાવ સાથે ભેગા મળી આમરણ ખાતે લશ્કરી છાવણી નાખી જામે શાહી સૈન્યની પાછળ છાપામાર યુદ્ધ પદ્ધતિ શરૂ કરી, પછવાડેથી હુમલાઓ કરી તેમણે મુઘલ ફોજને હેરાન પરેશાન કરવા માંડ્યું. શાહીસૈન્યના હાથી-ઘોડાની ઉઠાંતરી કરવા માંડી. મુઘલ લશ્કરનો રસ્તો રોકી અનાજ અને જીવન જરૂરિયાતોનો પુરવઠો અટકાવી દીધો. પરિણામે સ્થાનિક વિસ્તારમાં અનાજની એટલી તો તંગી સર્જાઈ હતી કે શેર અનાજની કિંમત એક રૂપિયા જેટલી થઇ ગઈ હતી. આ બધું ચાલતું હતું ત્યારે અઝીઝ કોકા પોતાના સૈન્ય સાથે આવી પહોંચ્યો. પણ આ પ્રદેશની જમીન ખાડા-ટેકરાવાળી અને પુષ્કળ કાદવ અને કીચડથી ભરેલી હોવાથી મુઘલો કોઈ નિશ્ચિત વ્યૂહરચના ગોઠવી શકતા ન હતા. સ્થાનિક ચોમાસું પણ મુઘલ ફોજ માટે ખલનાયકની ભૂમિકા અદા કરી રહ્યું હતું.

          બીજા દિવસે ફરી સૈન્યો અથડાયાં. સૈયદ કાસિમ, મહમદ રફી, હુમાયુ પુત્ર મિરઝા ખુર્રમ, મિરઝા અનવર જેવા મુઘલ સેનાપતિઓએ નવો મોરચો રચ્યો. તેમની સામે લડવા માટે જામ સતાજી, કચ્છના રાવ ભારમલ, જેસા વઝીર, કુંવર અજાજી, મહેરામણ ડુમરાણી વગેરે હતા. બંને તરફથી તોપવર્ષા થઈ. મુઘલ સેના જામની સેના પર ત્રાટકી. આ જ સમયે દ્વારકાની જાત્રા કરી પરત ફરતા ૧૫૦૦ અતીતોની જમાતે પણ આ યુદ્ધને ધર્મયુદ્ધ ગણી તેમાં ઝંપલાવ્યું અને બધા રણમેદાનમાં ખપી ગયા. મુઘલો તરફે પણ ઓછી ખુવારી થઇ ન હતી. શરૂના આ યુદ્ધમાં ૫૦૦ ઘોડા પણ માર્યા ગયા હતા.
        આટલી સફળતાથી પોરસાઈ હવે અઝીઝ કોકાએ સીધો જામના દુર્ગ પર હુમલો કરવાનું નક્કી કર્યું. હવે જામને પણ મુઘલોની શક્તિનો પરિચય મળી ગયો અને તેઓ નવાનગરના દુર્ગ પર હુમલો કરે અને રાજવી કુટુંબને રંજાડે તે પહેલાં પોતાની રાણીઓ, બાળકો અને સંબંધીઓને વહાણમાં બેસાડી સુરક્ષિત જગ્યાએ રવાના કરી દીધા.

          આમ રજવાડી કુટુંબ સલામત થયું પરંતુ આવનારું ભયંકર યુદ્ધ ટળ્યું ન હતું. જામનગર પાસે ધ્રોલ નગરથી નજીક ભૂચર મોરી ખાતે નિર્ણાયક યુદ્ધ થયું. આ યુદ્ધમાં થયેલી ખુવારી અને તેની અસરોને કારણે એક કવિએ ભૂચર મોરીના યુદ્ધને "પાણીપતની ભાણેજડી"ની ઉપમા આપી છે. તેની વાત કાલે.

*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post

Comments

Post a Comment

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ