ધીરુભાઈ ઠાકર
વિશ્વકોશના વિશ્વકર્મા :
ધીરુભાઈ ઠાકર ( ૧૯૧૮ - ૨૦૧૪ )
આજે તારીખ ૨૭ જુનના રોજ સંગીતકાર રાહુલદેવ બર્મન ,જગતભરના વિકલાંગોના
પ્રેરણામૂર્તિ હેલન કેલર અને મૂર્ધન્ય સાહિત્યકાર ધીરુભાઈ પ્રેમશંકર. ઠાકરનો જન્મદિવસ તથા મહિલા સાહસિક સુમતિ મોરારજી ,મહારાજા રણજીતસિંહ અને આપણા પહેલા ફિલ્ડ માર્શલ સામ માણેકશાની પુણ્યતિથિ છે .
ધીરુભાઈ ઠાકરનું મૂળ વતન વિરમગામ પણ કોડીનારમાં તેમનો જન્મ થયો હતો.ધીરુભાઈ ઠાકરે કોડીનાર ,ચાણસ્મા ,સિદ્ધપુર અને મુંબઈ એમ અનેક ઠેકાણે અભ્યાસ કર્યો હતો .તેમનો અનુસ્નાતકનો શોધ નિબંધ મુંબઈ યુનિવર્સિટી દ્રારા પુરસ્કૃત થયો હતો .ગુજરાતની કોલેજોમાં અધ્યાપન કાર્ય કરી તેઓ મોડાસા કોલેજના આચાર્ય તરીકેથી નિવૃત થયા હતા .
ગુજરાતી સાહિત્યમાં ધીરુભાઈ વિવેચક ,નિબંધકાર ,ચરિત્રકાર ,સંશોધક અને સંપાદક
તરીકે પ્રસિદ્ધ છે . મણિભાઈ નભુભાઈની સાહિત્ય સાધના ,રસ અને રુચિ ,સાંપ્રતસાહિત્ય ,નાટ્યકલા ,મણિભાઈ નભુભાઈ : જીવન રંગ ,મણિલાલની વિચારધારા ,મણિલાલ નભુભાઈનું આત્મવૃતાંત ,મણિલાલના ત્રણ લેખો ,રંગ કસુંબી ,પરંપરા અને પ્રગતિ ( કસ્તુરભાઈ લાલભાઈનું જીવન ચરિત્ર )અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ,સફર સો દિવસની ,સમાલોચક ,સુદર્શન અને પ્રિયવદા વગેરે તેમના ગુજરાતી સાહિત્યમાં યોગદાન છે .
મોડાસા કોલેજ અને ગુજરાતી વિશ્વકોશ જેવી સંસ્થાઓ ધીરુભાઈ ઠાકરની વહીવટી સુઝબુઝના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે .સાહિત્ય જેટલી જ ઇતિહાસની સમજ ધરાવતા ધીરુભાઈ ઠાકરનું નર્મદ ચંદ્રક ,રણજીતરામ સુવર્ણ ચંદ્રક , ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને પદ્મશ્રી એમ અનેક રીતે સન્માન થયું હતું .
આપણી ભાષાના આ સવ્યસાચી સારસ્વતનું ૨૪ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨૭ જૂન ૨૦૧૯ ,અમદાવાદ
Comments
Post a Comment