વિક્રમ સારાભાઈ
સાર્ધશતાબ્દી : ડૉ.વિક્રમ સારાભાઇ
(૧૯૧૯-૧૯૭૧)
આજે ઇતિહાસકાર કે .એ .નીલકંઠ શાસ્ત્રી ,સાહિત્યકાર ચુનીલાલ મડિયા અને ભારતીય અંતરીક્ષ વિજ્ઞાનના જનક ડોક્ટર વિક્રમ સારાભાઇનો જન્મદિવસ છે .
અમદાવાદમાં ખાનદાની વૈભવી તથા મિલમાલિક કુટુંબમાં ડોક્ટર વિક્રમ જન્મ્યા હતા .પિતા અંબાલાલ સારાભાઇએ સંતાનો માટે ઘરે જ શાળા ઉભી કરેલી તેમાં વિક્રમ સારાભાઇ ભણ્યા હતા તેમનો વઘુ અભ્યાસ અમદાવાદની ગુજરાત કોલેજ અને બ્રિટનમાં સેન્ટ જ્હોન કોલેજ,કેમ્બ્રિજ યુનિ.માં થયો હતો .
ડોક્ટર વિક્રમ સારાભાઇએ ખાનદાની વ્યવસાયમાં પોતાની ભાવિ જીંદગી સલામત કરી દેવાના બદલે અંતરીક્ષ વિજ્ઞાનને પોતાની કારકિર્દી બનાવી હતી . ૧૯૪૦મા પ્રાકુતિક વિજ્ઞાનમાં ટ્રાઈપોઝ ડિગ્રી મેળવી જાણીતા વિજ્ઞાની સી.વી.રામનના માર્ગદર્શનમાં વૈજ્ઞાનિક સંશોધનો શરુ કર્યા હતા . વિક્રમ સારાભાઇએ ભૌતિક વિજ્ઞાનમાં પીએચ.ડી ની પદવી પ્રાપ્ત કરી હતી.કોસ્મિક રેઝ અને સોલર ફિઝીક્સ તેમના સંશોધનનું વિશેષીકરણ રહ્યું હતું .આં ક્ષેત્રમાં તેઓએ અનેક સંશોધકો તૈયાર કર્યા હતા .
યુવાનોની શક્તિઓ પર અખૂટ શ્રદ્ધા રાખનાર ડોકટર વિક્રમ સારાભાઇએ આજે ભારત જેના પર ગૌરવ અનુભવી શકે છે તેવી અટીરા,પી.આર.એલ.,આઈ.આઈ.એમ ,ઈસરો ,સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર જેવી ૩૦ થી વધુ સંશોધન સંસ્થાઓ દ્રારા ભારતમાં ઉચ્ચ દરજ્જાની સંશોધન પ્રવુતિઓની બુનિયાદ રચી હતી . મિસાઈલ મેન ડોક્ટર અબ્દુલ કલામે તેઓ સાથે કામ કરવાનું ગૌરવ અનુભવ્યુ હતું.
પોતાની સંશોધન પ્રવુતિઓના બળે જ તેઓ ભારતીય પરમાણું ઉર્જા આયોગના પ્રમુખ બન્યા હતા .ભારત સરકારે ડોક્ટર વિક્રમ સારાભાઇનું પદ્મભૂષણ ,પદ્મવિભૂષણથી સન્માન કર્યું હતું .
અન્યો પ્રત્યે અસાધારણ સહાનુભુતિ રાખનાર અને અંતરીક્ષ વિજ્ઞાનમાં ભારતને વૈશ્વિક દરજ્જો અપાવનાર ડોક્ટર વિક્રમ સારાભાઇનું ૩૦ ડીસેમ્બર ૧૯૭૧ના રોજ ત્રિવેન્દ્રમ ખાતે માત્ર ૫૨ વર્ષની વયે અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૨ ઓગસ્ટ ૨૦૧૯,અમદાવાદ
Comments
Post a Comment