સુમન ભારતી


 એકલો જાને રે : સુમન ભારતી ( ૧૯૨૧ - ૨૦૦૬ )
         આજે તારીખ ૨૪ જાન્યુઆરીના રોજ ઇતિહાસકાર દુર્ગાશંકર શાસ્ત્રી ,કવિપ્રિયકાંત મણિયાર ,જનનાયક કર્પૂરી ઠાકુર ,પ્રશિયાના શાસક ફ્રેડરિક દિગ્રેટ અને વંચિતોના નેતા સુમન ભારતીનો જન્મદિવસ અને હોમી ભાભા તથા સવ્યસાચી સારસ્વત ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિ છે .
          કલોલ તાલુકાના નારદીપુર ખાતે જન્મેલા સુમન ભારતી  વર્નાક્યુલર સુધી ભણ્યા હતા .જુગતરામ દવે ,મામાસાહેબ ફડકે અને પરીક્ષિતલાલ મજુમદાર જેવા સ્વતંત્રતા સૈનિકો અને રચનાત્મક કાર્યકરોની નિશ્રામાં સુમન ભારતીનું વ્યક્તિત્વ ધડાયું હતું .દાંડીકુચ વખતે ઇન્કલાબ ઝીન્દાબાદ ,ટોપીવાળાના ટોળા ઉતર્યા ,ડંકો વાગ્યો રે શુરા જાગજો રે કાયર ભાગજો રે જેવા સુત્રો અને ગીતો દ્રારા તેઓ લોકજાગૃતિનું કામ કરતા હતા.                 ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં સુમન ભારતીને બારડોલી ખાતે લડતમાં ભાગ લેવા બદલ ૭ મહિનાની જેલની સજા થઇ હતી .
          આઝાદી બાદ ગાંધીજીની કલ્પના મુજબના  સ્વરાજ્યને   સુરાજ્યમાં ફેરવવાની નેમ સાથે આઝાદીની નવી લડાઈના આહ્વાનમાં જોડાયા હતા .ટૂંકી પોતડી ,ટૂંકી બાંયનું પહેરણ ,ખાદીનો બગલથેલો અને માથે રૂમાલ બાંધેલા, ટૂંકી દડીના સુમન ભારતી વંચિતોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીનગરના સચિવાલયના બધા બ્લોક ખુંદી વળતા .સુમન ભારતીએ ૧૯૯૮મા દાંડીકુચની સુર્વર્ણ જયંતિ વેળાએ દાંડીયાત્રા પણ કરી હતી .
             તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે ના સૂત્રમાં માનતા , આયુર્વેદના જાણકાર ,દાદ માંગી લે તેવી સૂઝ ધરાવતા ,અદભૂત   ભાષા કૌશલ્ય ધરાવતા તથા અખિલ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની મંડળના મહામંત્રી સુમન ભારતીનું ૯ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ